કોળી એ ભારત દેશની એક પુરાતન સમુહની જ્ઞાતિ છે. કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહીત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે. આ સિવાય વિશ્વના ઘણા બઘા દેશોમાં કોળી જ્ઞાતિના લોકોએ વસવાટ કર્યો છે. ગુજરાતમાં કોળીઓની વસ્તી મુખ્યત્વે રાજ્યનાં દક્ષિણ ભાગમાં સ્થિત વલસાડ,ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, સુરત, નવસારી અને રાજકોટ જીલ્લાની આસપાસ છે. ગુજરાતમાં સને ૧૯૩૧ ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ, કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.
ગુજરાતનો કોળી સમાજ નીચે મુજબના સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે: •દક્ષિણ ગુજરાત: કોળી પટેલ કે તળપદા, માટિયા, ગુલામ, માનસરોવરીયા. •સૌરાષ્ટ્ર: ઠાકરડા, પટેલિયા, ઘેડીયા, વળાંકીયા, ચુંવાળીયા, તળપદા, ખાંટ, પગી અને કોળી. •ઉત્તર ગુજરાત: ચુંવાળીયા, ઇંદરીયા. •મધ્ય ગુજરાત: પરદેશી, તળપદા, ભાલીયા, ખાંટ, કોટવાળ, પગી, ચુંવાળીયા, ડેબરીયા, પટેલીયા, ઠાકોર અને રાઠવા.

કોળી સમાજનો ઉદભવ મહાભારત ના સમયથી થયેલો છે, ગીતાના ચોથા અધ્યાયમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સૂર્યદેવના પુત્ર મનુ અને મનુના પુત્ર રાજા ઈશ્વાકુ અને ઈશ્વાકુ વંશની નવ શાખા (મલ્લ, જનક, વિદેય, કોલીય, મૌર્ય, લિચ્છવી, શાત્રી, વર્જજી અને શાકેય ) સમજાવે છે, જે પૈકીની “કોલીય” શાખા કોળીને સૂર્યવંશી ક્ષત્રિય તરીકે પ્રસિદ્ધ કરે છે અને કોળી વંશને મહારાજ સમ્રાટ “વીર માંધાતા” નો પરિવાર માનવામાં આવે છે. ગુજરાત ના કોળી સમાજ ના ઇષ્ટદેવ શ્રીમાંધાતા છે. જેની રથયાત્રા ઘણા સ્થળો થી મકર સંક્રાંતિના દિવસે નીકળે છે.

કોળીઓનો સંબંધ ભગવાન બુદ્ધ સુધી પહોંચે છે કારણ કે બૌદ્ધ ગ્રંથો મુજબ બુદ્ધની માતા માયા દેવી તથા પત્ની યશોધરા તે કોળી સમાજની સ્ત્રીઓ હતી. કોળીઓનું ગોત્રનામ ''વ્યાઘ્રપદ'' છે. બૌદ્ધ ગ્રંથો મુજબ રાજા ઓપુરની વંશાવળીમાં ઓપુરનો પુત્ર નિપુર, નિપુરનો કરણ્ડક, કરણ્ડકનો ઉલ્કામુખ, ઉલ્કામુખનો હસ્તિક શિર્ષ, હસ્તિક શિર્ષનો સિંહદનું આ સિંહદનુંને ચાર પુત્રો અને એક કન્યા હતી. પુત્રો (૧) શુદ્ધોદન, (૨) દ્યોતોદન (૩) શુલ્કોદન, (૪) અમૃતોદન અને કન્યા - અભિતા. સુમતિ નામક શાક્ય કોલિયવંશની કન્યા સાથે લગ્ન કર્યા અને તેની પુત્રી માયાદેવી તે કપિલવસ્તુના રાજા શુદ્ધોદનની રાણી માયા દેવી. શાક્ય રાજા સુમતિ કપિલવસ્તુની પાસે દેવદહનગરના શાસક હતા. માયાદેવીની અન્ય ૬ બહેનો પૈકી સૌથી નાની મહાપ્રજાપતિ ઉર્ફે ગૌતમીના લગ્ન પણ શુદ્ધોદન રાજા સાથે થયેલા રાજા શુદ્ધોદન અને કોળી વંશીય ભાર્યા માયાદેવીના ગર્ભથી પુત્ર સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધ જન્મ્યા. આમ બુદ્ધનું મોસાળ''કોળી''કહેવાય.

પ્રાચીન યુગમાં કોલિય સમાજનું સંગઠિત પ્રભાવશાળી ગણતંત્ર રાજ્ય હતું. કોળી ક્ષત્રિયો તે રાજ્યોના રાજા હતા. રામગ્રામ, દેવદહ, ઉત્તરકલ્પ, હસિદવસન, સંજનેલ, સાપુત્ર, કક્કર પતન વગેરે રાજ્યોમાં કોળી- ક્ષત્રિયોની ધજા ફરકતી. ભગવાન બુદ્ધે પોતાના વસિયતનામામાં પોતાના નિર્વાણ બાદ અસ્થિનો આઠમો ભાગ કોળી સમાજને સ્મારક માટે આપવો અને તે આજ્ઞાા મુજબ બુદ્ધના નિર્વાણ પછી તેમને પ્રાપ્ત થયેલ અસ્થિ ઉપરસાંચીના સ્તુપનું નિર્માણ કરેલ હતું. સોળ વર્ષની ઉંમરે કુમાર સિદ્ધાર્થના લગ્ન કોળી કુમારી યશોધરા સાથે થયા. પુત્ર રાહુલનો જન્મ થયો ત્યારે સિદ્ધાર્થની ઉંમર ૨૮ વર્ષની હતી. ૨૯ વર્ષની ઉંમરે સિદ્ધાર્થ ગ્રહત્યાગ કર્યો. છ વર્ષના તપ બાદ બૌધિજ્ઞાાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થ ''બુદ્ધ'' બન્યા અને ૮૦ વર્ષની ઉંમરે પરલોકવાસી થયા. આમ ઇ.સ.પૂર્વે ૫૬૬માં બુદ્ધનું પ્રાગટય થયું. બુદ્ધનો જન્મ, જ્ઞાાન પ્રાપ્તિ અને નિર્વાણ એ ત્રણેય એક જ દિવસ ''વૈશાખી પૂર્ણિમા'' ના દિવસે થયા.
મહારાષ્ટ્રમાં કોળી સમાજની માન્યતા મુજબ મહર્ષિ વાલ્મિકી કોળી હતા. આજે પણ મહારાષ્ટ્રમાં રામાયણ કોળી-રામાયણ તરીકે ઓળખાય છે. બરાર પ્રાંત- પુણ્યગંગા નદી તેના ઉત્તર કિનારા પર અમરાવતી પાસે દરિયાપુર જિલ્લામાં કાસમપુર ગામ છે ત્યાં વાલ્મિકી મઠ છે જે કોળી મઠ કહેવાય છે. તેના મહંતો કોળી સમાજના બાલબ્રહ્મચારી હોય છે.

સંત કબીર જે વ્યવસાયે વણકર હતા, તેમણે પોતાના કેટલાય ભજનોમાં “કહત કબીર કોરી” નો ઉલ્લેખ કર્યો છે, જે સૂચવે છે કે કબીર કોળી જ્ઞાતિના હતા.

૧૮૫૭ ના વિપ્લવમાં કેટલીયે કોળી વીરાંગનાઓ એ ઝાંસી ની રાણીની રક્ષા કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. એમનામાંના એક વીરાંગના “ઝલ્કારી બાઈ” જેઓ રાણીની ખુબજ નજીક હતા એમનું યોગદાન અત્યંત મહત્વનું છે.